રાજકોટમાં ચાલુ પરીક્ષા એ 17 વર્ષીય વિદ્યાર્થીનું બેભાન થતા શંકાસ્પદ મોત નીપજ્યું, કારણ અકબંધ
શહેરમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં ધોરણ 12 કોમર્સમાં ભણતા 17 વર્ષીય મુદીત અક્ષય નળિયાપરા નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આ બાળક શાળામાં જ અચાનક બેભાન થઇ ગયો હતો. જે બાદ તેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી દીધો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી શાળામાં હાલ પરીક્ષા ચાલી રહી હતી. તે દરમિયાન ધોરણ 12માં અભ્યાસ કરતો મુદીત વર્ગખંડમાં જ બેભાન થઇ ગયો હતો.

જેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મુદીતને 108ના ડોક્ટરે પણ પ્રાથમિક સારવાર આપી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
માહિતી પ્રમાણે, મૃતક વિદ્યાર્થીના પિતા અક્ષયભાઇ નળિયાપારા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં ફરજ બજાવે છે. મુદીતે કોરોના વાયરસની બે રસી પણ મુકાવી હતી.