વાંકાનેરના વઘાસીયામાં ઓઇલમીલના ગરમ પાણીના ટાંકામાં પડી જતા એમપીના યુવાનનું મૃત્યુ
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલી ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાનનો પગ લપસી જતા ગરમ પાણીના ટાંકામાં પડી ગયા બાદ ત્રણેક મહિનાની સારવાર બાદ તબિયત સારી થયા બાદ ફરી અચાનક તબિયત લથડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ગામે સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઓઇલમીલમાં હેલ્પર તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની દીલીપભાઇ મુનાભાઇ રાઠોડ ઉ.24 નામના યુવાન ઓઇલમીલમાં કામ કરતા હતા ત્યારે ગત તા.10 જૂનના રોજ યુવાનનો પગ લપસી જતા અકસ્માતે ગરમ પાણીના ટાંકામાં પડી જતા કેડથી નીચેના ભાગે દાઝી ગયેલ હતો. આ બનાવમાં યુવાનને પ્રથમ વાંકાનેર બાદ મોરબી, રાજકોટ અને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવતા તબિયત સારી થઇ ગઈ હતી. જો કે, બાદમાં 18 ઓગસ્ટના રોજ ફરી તબિયત બગડતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 21 ઓગસ્ટના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.