માળીયાના વતની SRP જવાનના આપઘાત મામલે પોરબંદરના ડીવાયએસપીના ધામા મોરબીમાં
મૂળ મોરબી જિલ્લાના માળીયા પંથકના વતની અને જૂનાગઢના એસઆરપી જવાનના આપઘાત કેસમાં હાઇકોર્ટેની લપડાક બાદ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે જૂનાગઢ જિલ્લામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપીને સોંપતા ફરિયાદી મોરબી ખાતે રહેતા હોય તેમની તપાસ માટે પોરબંદરના ડીવાયએસપી મોરબી આવી પહોંચ્યા હતા અને તેઓએ તપાસ શરૂ કરી છે. તેમના જણાવ્યા મુજબ મૌખિક, નિવેદનો અને સાયન્ટીફીક પુરાવાઓ જે મળે તે એકઠા કરવામાં આવી રહ્યા છે.
જુનાગઢ ખાતે પોલીસમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયાના આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી ટીમ આજે મોરબી પહોંચી હતી. જુનાગઢ ખાતે ફરજ બજાવતા અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લાવડીયાના આપઘાત મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે કોર્ટ દ્વારા સખત વલણ અપનાવતા અને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ગત તારીખ 12 ઓગસ્ટના રોજ જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધવામાં આવ્યો છે.
આ કેસમાં આરોપીઓ તરીકે જૂનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કાપડિયા અને પીએસઆઈ ખાચર હોવાથી આ કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપી નિલમ ગોસ્વામી ને સોંપવામાં આવી છે. નિલમ ગોસ્વામી પોતાની ટીમ સાથે આજે મોરબી ખાતે આવ્યા હતા અને ફરિયાદી મૃતકના પુત્ર રીતેશ લાવડીયા ની પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે સાહેદોના નિવેદન પણ નોધવામાં આવશે. સાહેદોનાં નિવેદનો, મૌખિક પુરાવાઓ અને સાયન્ટીફીક પુરાવાઓ જે મળે તે એકઠા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફરિયાદીની એક માંગ છે કે આરોપીઓને ઝડપથી ધરપકડ કરવામાં આવે અને તપાસ અધિકારી તેમને પૂરતો ન્યાય અપાવશે તેની આશા વ્યક્ત કરી હતી.
પોરબંદર ડીવાયએસપી અને તપાસ અધિકારી નીલમ ગોસ્વામીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગત તારીખ 12ના રોજ વંથલી પોલીસમા એક ગુન્હો નોધવામાં આવ્યો હતો. જેની તપાસ મને સોપવામાં આવી છે. ગુન્હો માર્ચ મહિનામાં બન્યો છે. એવીડન્સ મેળવવા માટે ગુન્હો જ્યાં બન્યો છે તે પીટીસી જુનાગઢથી તપાસ શરૂ કરીને હું અત્યારે મોરબી જે ફરિયાદી છે તેમની આગળની તપાસ માટે પૂછપરછ અને નિવેદન માટે મોરબી આવ્યા છીએ તેમજ સાહેદોના પણ નિવેદન નોધવામાં આવશે. હાલ મૌખિક, નિવેદનો અને સાયન્ટીફીક પુરાવાઓ જે મળે તે એકઠા કરવામાં આવી રહ્યા છે.
ફરિયાદી રીતેશ લાવડીયાએ જણાવ્યું હતું કે, અમારી એક જ માંગ છે કે અમે એફઆરઆઈમા જેમના નામ આપ્યા છે ડીવાએસપી કાપડિયા અને પીએસઆઈ ખાચરને પોલીસ કસ્ટડીમાં લઈ કે તેની ધરપકડ કરે તવી અમારી માંગ છે તેમજ મેડમ અત્યારે તપાસમાં આવ્યા છે અમને આશા છે કે અમને પૂરો ન્યાય મળશે.