દિલ્હી સેવા બિલ લોકસભામાં થયું રજૂ, કેજરીવાલ સાથે કોંગ્રેસ; પસાર થાય તો શું શું આવશે બદલાવ જાણો?
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કર્યું હતું, જેના પર બુધવારે ચર્ચા થશે. દિલ્હીમાં સેવાઓને નિયંત્રિત કરતા આ બિલને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન એકત્ર કર્યું છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હી સર્વિસ બિલ સંસદમાં વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. એકતાની પ્રથમ કસોટી હશે. તે જ સમયે, મોદી સરકારને દિલ્હી સેવા બિલ અને વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેડીનું સમર્થન પણ મળ્યું છે. બીજેડીને કારણે બંને ગૃહોમાં મોદી સરકારનું અંકગણિત પણ વધશે.
આ પહેલા સોમવારે પણ કેન્દ્ર સરકાર લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કરવાની હતી, પરંતુ હોબાળાને કારણે લોકસભા સ્થગિત કરવી પડી હતી, તેથી હવે આજે તેને રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાનો પ્રયાસ છે.

દિલ્હી સર્વિસ બિલ પાસ થયા પછી શું બદલાશે?
- દિલ્હી સર્વિસ બિલ પાસ થવાથી દિલ્હીના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની સત્તામાં ઘણી હદ સુધી ઘટાડો થશે.
- દિલ્હીમાં કામ કરતા અધિકારીઓ પર દિલ્હી સરકારનું નિયંત્રણ સમાપ્ત થઈ જશે અને આ સત્તાઓ લેફ્ટનન્ટ ગવર્નર મારફતે કેન્દ્રને જશે.
- દિલ્હી સર્વિસ બિલમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી તેના અધ્યક્ષ રહેશે.
- ઓથોરિટીમાં દિલ્હીના મુખ્ય સચિવ હોદ્દેદાર સભ્ય તરીકે, મુખ્ય ગૃહ સચિવ સભ્ય સચિવ તરીકે રહેશે.
- એલજી ઓથોરિટીની ભલામણ પર નિર્ણય લેશે, પરંતુ તેઓ ગ્રુપ-A અધિકારીઓને લગતા સંબંધિત દસ્તાવેજો માંગી શકે છે.
- જો ઓથોરિટી અને LGનો અભિપ્રાય અલગ હશે, તો LGનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.
દિલ્હી સર્વિસ બિલ 19 મેના રોજ બહાર પાડવામાં આવેલા વટહુકમની ચોક્કસ નકલ નથી. તેમાં ત્રણ મોટા સુધારા કરવામાં આવ્યા છે. બિલમાંથી કલમ 3A હટાવી દેવામાં આવી છે. આમાં દિલ્હી વિધાનસભાને સેવાઓ સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. તેના બદલે, બિલ કલમ 239 AAને લાગુ કરવા માંગે છે, જે કેન્દ્રને નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી (NCCSA) ની સ્થાપના કરવાની સત્તા આપે છે. અગાઉ, ઓથોરિટીએ દિલ્હી વિધાનસભા અને સંસદ બંનેને તેની પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ સુપરત કરવાની જરૂર હતી, પરંતુ હવે આ જોગવાઈ પણ દૂર કરવામાં આવી છે.