બીજા સોમવારે પણ ગરીબ ભૂલકાઓને દૂધપાક સાથે ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ
શ્રાવણ માસ નિમિત્તે શિવલિંગને બદલે બાળકોના પેટમાં દૂધ પધરાવી જીવ રાજી તો શિવ રાજીનો મેસેજ આપ્યો
મોરબી : મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું. જેમાં દુધથી વંચિત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિતના લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.

મોરબીમાં જન્મદિન હોય કે દરેક તહેવારોની ઉજવણી હોય તેમ વિશિષ્ટ રીતે કાંતિકારી ભાત પાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના બીજા સોમવારની પ્રેરણાત્મક ઉજવણી કરી હતી. ખાસ કરીને શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવતા હોય છે, ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી ક્રાંતિકારી બદલાવ લાવ્યો છે. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી શ્રાવણ માસના સોમવારે પ્રથમ શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું બધું જ દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમને આપીને શિવને રાજી કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનો પૌષ્ટિક આહાર શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો સહિત લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આપણા જ શહેરમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે.અમારું ગ્રુપ વર્ષોની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાનો ખુબજ આદર કરે છે. લોકોની અસ્થાને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ જ નથી પણ ખરેખર આપણે શિવને રાજી કરવા માંગતા હોય તો પહેલા જીવને રાજી કરવા પડે. જીવ રાજી હોય તો શિવ આપોઆપ તમારા પર પ્રસન્ન થઈ જશે.