ગીર સોમનાથમાં દીપડાનો આતંક, ઘરથી થોડે દૂર રમતા બે વર્ષના બાળકનું મોત
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં દીપડાએ બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે મટાણા ગામમાં બની હતી, જ્યારે બાળક તેના ઘરની નજીક રમી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે દીપડો રમેશ જાધવના બે વર્ષના પુત્રને ખેંચીને લઈ ગયો. વેરાવળ રેન્જના ફોરેસ્ટ ઓફિસર-ઈન્ચાર્જ ખીમાન પંપાણિયાએ જણાવ્યું હતું કે, વ્યાપક શોધખોળ બાદ બાળકનો મૃતદેહ જાધવના ઘરથી 500 મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના મટાણા ગામમાં બની હતી, જે વેરાવળ રેન્જ ફોરેસ્ટ એરિયા હેઠળ આવે છે, અધિકારીએ જણાવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દીપડો બાળકને તેના ઘરથી 500 મીટર દૂર ખેંચી ગયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડાઓ છે. અમે ત્રણ પાંજરા લગાવ્યા છે અને દીપડાઓને પકડવા માટે વધુ ત્રણ પાંજરા લગાવવામાં આવશે. આ જ વિસ્તારમાં 10 દિવસ પહેલા 65 વર્ષીય મહિલાનું દીપડાએ મોત નિપજ્યું હતું. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં આ વિસ્તારમાં દીપડાના હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામમાં ગયા મહિને દીપડાનો ત્રાસ સામે આવ્યો હતો. ત્યારે આ વિસ્તારના સુખનાથ ચોક પાસે બે દીપડા ઘુસ્યા હતા. જેમાં એક દીપડાએ માતા-પુત્ર પર હુમલો કરી કુલ ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ માહિતી મળતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડ્યો હતો. પહેલા ઈન્જેક્શન દ્વારા શાંત અને પછી પકડવામાં આવ્યો. આ દરમિયાન સુખનાથ ચોક વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાઓથી બચવા લોકોને ધાબા પર ચઢવું પડ્યું હતું.