મોરબી સબ જેલમાંથી 40 માવા પકડાયા : જેલરની બદલી
જેલ આઈજી સ્ક્વોડની જડતી દરમિયાન ખામી સામે આવતા કાર્યવાહી, નવા જેલર તરીકે એચ.એ.બાબરીયા મુકાયા.રાજ્યની અનેક જેલની અંદર ઘણી વખત કેદીઓને સુવિધાઓ આપવામાં આવતી હોવાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે મોરબી સબ જેલમાં પણ બંધાણી કેદીઓને માવાની સુવિધા અપાતી હોવાનું સામે આવ્યું છે.સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર મોરબી સબ જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓની ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ ગયા બાદ જેલ આઈજી સ્ક્વોડ દ્વારા જેલની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન મોરબી સબ જેલમાંથી 40 માવા પકડાયા હતા. આમ આવી ખામી સામે આવતા જેલ તંત્ર દ્વારા મોરબી સબ જેલના જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેઓ દોઢેક મહિના પહેલા જ અહીં મુકાયા હતા તેમની જગ્યાએ હવે રાજપીપળાથી એચ.એ.બાબરીયાની નવા જેલર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.